Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Other

ખુબજ મહત્વપૂર્ણ વૃક્ષ કિલાઈ, ફર્નિચરથી લઈને રમકડા બધાનું સ્ત્રોત એક જ વૃક્ષ

આપણે બધા જ લોકો જાણીએ છીએ કે લાકડું એક મહત્વપૂર્ણ વન પેદાશ છે. માનવજાત તેની બહુમુખી પ્રતિભાને કારણે જન્મથી મરણ સુધી અનાદિ કાળથી લાકડાનો ઉપયોગ કરે છે. લાકડાના વપરાશ અને ઉત્પાદન વચ્ચેની અસમાનતાએ છેલ્લાં કેટલાંક દાયકાઓમાં ભારતમાં લાકડાની માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર વધારી દીધું છે

Amansinh Jadeja
Amansinh Jadeja

આપણે બધા જ લોકો જાણીએ છીએ કે લાકડું એક મહત્વપૂર્ણ વન પેદાશ છે. માનવજાત તેની બહુમુખી પ્રતિભાને કારણે જન્મથી મરણ સુધી અનાદિ કાળથી લાકડાનો ઉપયોગ કરે છે. લાકડાના વપરાશ અને ઉત્પાદન વચ્ચેની અસમાનતાએ છેલ્લાં કેટલાંક દાયકાઓમાં ભારતમાં લાકડાની માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર વધારી દીધું છે અને આગામી દાયકામાં આ અંતર વધુ વિસ્તૃત થવાની અપેક્ષા છે. આ અંતર ને કારણે લાકડાની આયાત માટે વધુ પડતો નાણાકીય બોજ લાદવામાં આવ્યો છે. ભારત યુરોપ, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને કેટલાક અન્ય દેશોના વિશિષ્ટ બજારોમાં ફર્નિચર, હસ્તકલાની વસ્તુઓ, લાકડાના રમકડાં જેવા લાકડાના ઉત્પાદનોની આયાત કરી રહ્યું છે (USD ૧૯૫૦ મિલિયન નાણાકીય નુકસાન) (https://fsi.nic.in/forest-report- 2019). એટલા માટે આજના આ લેખમાં એક અગત્ય ના વનવૃક્ષ વિષે જાણકારી આપીશું અને તેમના મહત્વ વિષે જણાવીશું કે જે લાકડાના વપરાશ અને ઉત્પાદન વચ્ચેની અસમાનતા ને કેવી રીતે પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થઈ શકે છે. એ વનવૃક્ષ નું નામ છે કિલાઈ.

કિલાઈ નું વૈજ્ઞાનિક નામ આલ્બીઝિયા પ્રોસેરા (Albizia procera) છે. તે ફેબેસી (Fabaceae) કુટુંબમાંથી આવે છે અને તે ‘કિલાઈ’ અથવા ‘સફેદ શિરીષ’ તરીકે પ્રખ્યાત છે. આ વૃક્ષ હિન્દી ભાષામાં ગુરાર અથવા કરક, બંગાળીમાં કોરોઈ અને સંસ્કૃતમાં કટાભી અથવા કિન્હાઈ ના નામ થી ઓળખાય છે. કિલાઈ નો ઉપયોગ સામાન્ય રીતે પરંપરાગત દવાઓ બનાવવામાં થાય છે જેમ કે શુક્રાણુનાશક પ્રવૃત્તિ, સંધિવા, અલ્સર, રક્તસ્રાવ અને ગર્ભાવસ્થાની સમસ્યાઓ અને પેટના દુખાવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત તેના લાકડાનો ઉપયોગ મુખ્યત્વે સારી કેબિનેટ, ફર્નિચર, બાંધકામ, કૃષિ ઓજારો, ઘરગથ્થુ ઉત્પાદનો, થાંભલાઓ, ટ્રક અને બસ બોડી, જમીન સુધારક, ચાના બગીચાઓમાં નર્સ ટ્રી, કોફી અને કોકો વાવેતર માં થાય છે. ભારતમાં, આલ્બિઝિયા પ્રોસેરાના પાંદડાનો ઉપયોગ પ્રાણીઓ જેવા કે ઢોર, ઘેટાં-બકરા, હાથી અને હરણ ના ધાસ-ચારા તરીકે કરવામાં આવે છે.

        ભારતમાં આ પ્રજાતિ યમુના પૂર્વથી પશ્ચિમ બંગાળ, સાતપુડા પર્વતમાળા, ગુજરાત, દક્ષિણ ભારત અને આંદામાન સુધીના પેટા હિમાલયના પ્રદેશોમાં જોવા મળે છે. આ ઉપરાંત તે બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, થાઈલેન્ડ, વિયેતનામ, ફિલિપાઈન્સ, ઈન્ડોનેશિયા, ચીન, બર્મા, લાઓસ, કંબોડિયા, મેલાનેશિયા અને ઉત્તરી ઓસ્ટ્રેલિયા દક્ષિણપૂર્વ એશિયા અને ઉત્તરીય દેશોમાં વ્યાપકપણે જોવા મળે છે. તે કાંપવાળી જમીનમાં સારી રીતે ઉગે છે, પરંતુ તે ચીકણી, સાધારણ ક્ષારયુક્ત અને ખારી જમીનમાં પણ ઊગી શકે છે. તે શુષ્ક, રેતાળ પથ્થરની અને છીછરી જમીન પર ઉગે છે અને તે ખરાબાની જમીનના પુનઃવનીકરણ માટે ઉપયોગી છે. તેનું વાવેતર પર્યાવરણને સુધારે છે અને નાઇટ્રોજન સ્થાપન, જળ સંરક્ષણ અને ધોવાણ નિયંત્રણ દ્વારા જમીનની સ્થિતિને સમૃદ્ધ બનાવે છે.

        કિલાઈ સામાન્ય રીતે ૭-૧૫ મીટર ઊંચું વૃક્ષ હોય છે, પરંતુ તે ૩૦ મીટર સુધી પહોંચી શકે છે અને ૯ મીટર લાંબા સીધા અથવા વાંકાચૂંકા થડ ઉપરાંત ૩૫-૬૦ સે.મી.નો વ્યાસ ધરાવે છે. તે પાનખર વૃક્ષ છે, જે શુષ્ક ઋતુમાં (ઓગસ્ટ-સપ્ટેમ્બર) પાન વગરનું થઈ જાય છે. છાલ સુંવાળી, નિસ્તેજ રાખોડી-લીલી, પીળી-લીલી અથવા આડી ખાંચો સાથે ભૂરા રંગ ની હોય છે. શીંગો આકારમાં ચપટી, ઘેરા લાલ અથવા લાલ બદામી રંગની ઉપરાંત ચમકદાર બીજ ધરાવે છે.  પરિપક્વ શીંગો પૈકી દરેકમાં ૬-૧૨ બીજ હોય ​​છે. તેના બીજ નાના, લીલાશ પડતા-ભૂરા, લંબગોળ થી ગોળાકાર, સપાટ સાથે સખત, સરળ બીજાવરણ ધરાવે છે.

કિલાઈના પરંપરાગત ઉપયોગો:

  • બાંગ્લાદેશમાં, કિલાઈને જમીન સુધારક તરીકે ગણવામાં આવે છે અને તેનો ઉપયોગ ચાના બગીચાઓ, કોફી અને કોકોના વાવેતરમાં સહાયક વૃક્ષ તરીકે થાય છે. તેની ડાળીઓ ચા ના બગીચાઓમાં ટેકા તરીકે ઉપયોગમાં લેવાય છે.
  • ફિલિપાઈન્સ, ખેડૂતો લેન્ડસ્કેપમાં કિલાઈના વૃક્ષોનો ઉપયોગ કરે છે કારણ કે તે હળવો છાંયો આપે છે અને ક્યુબામાં તે કોફી પર છાંયડા તરીકે વપરાય છે.
  • કિલાઈ મોસમી સૂકી, ધોવાણ અને ક્ષીણ થઈ ગયેલી જમીનના પુનર્વસન માટે લોકપ્રિય છે. તેની વૃદ્ધિ કરવાની ક્ષમતા સૂકી, રેતાળ, પથરી અને છીછરી જમીન તેને ખરાબાની જમીનના વનીકરણ માટે ઉપયોગી વૃક્ષ છે.
  • કિલાઈ વાતાવરણીય નાઇટ્રોજનને સંગ્રહિત કરે છે. તે સરળતાથી રાઈઝોબિયમ પ્રજાતિઓ સાથે જોડાણ બનાવે છે, તેને સક્ષમ બનાવે છે નાઇટ્રોજનની ઉણપવાળી જમીન માટે ખુબજ ઉપયોગી સાબિત થાય છે.
  • કિલાઈ ખેતર ના શેઢા પર વાવેતર માટે ઉપયોગી વૃક્ષ છે. આ ઉપરાંત ઘણીવાર રસ્તાઓ અને બગીચાઓમાં શુશોભન માટે પણ વાવેતર કરવામાં આવે છે.
  • લાકડામાંથી ખુબજ મોટા પ્રમાણમાં ચારકોલ (૩૯.૬%) તૈયાર કરી શકાય છે, અને તેનો બળતણ તરીકે વ્યાપકપણે ઉપયોગ થાય છે.
  • ફિલિપાઈન્સમાં, કિલાઈના પાંદડા રાંધેલા શાકભાજી તરીકે ખાવામાં આવે છે. અછતના સમયે છાલને લોટ સાથે પીસીને ખાઈ શકાય છે.
  • ભારતમાં, કિલાઈના પાંદડા મોટાભાગના રમુજી પ્રાણીઓ (ઢોર, ઘેટાં, બકરા, હાથી અને હરણ) માટે સારો ચારો માનવામાં આવે છે અને કેટલાંક રાજ્યોમાં ચારા માટે ઝાડ કાપવામાં આવે છે.
  • ઑસ્ટ્રેલિયામાં, એવું જણાય છે કે પ્રારંભિક વસાહતીઓ અલ્બીઝિયા કિલાઈને સારા ચારાનું વૃક્ષ માનતા હતા.
  • છાલમાં ટેનીન હોય છે, પરંતુ ઓછી માત્રામાં હોય છે. પાઉડર કરેલી છાલનો ઉપયોગ માછલીના ઝેર તરીકે થાય છે, અને તેના પાંદડા જંતુનાશક અને માછલીનાશક ગુણધર્મો ધરાવે છે.
  • ફિલિપાઈન્સમાં કિલાઈનું લાકડું ખેડૂતો માટે રોકડ આવક તરીકે કાર્ય કરે છે, જેઓ લાકડાને કોતરણીઓ કરીને વેચે છે.
  • છોડના તમામ ભાગો કેન્સર વિરોધી પ્રવૃત્તિ દર્શાવે છે.
  • મૂળમાં આલ્ફા-સ્પિનસ્ટેરોલ અને સેપોનિન હોય છે જે ૦.૦૦૮% ના ઘટાડામાં શુક્રાણુનાશક પ્રવૃત્તિ ધરાવતા હોવાનું નોંધાયું છે.

તો જોયું મિત્રો, કિલાઈ ખુબજ ઉપયોગી વૃક્ષ છે. કિલાઈ નો ઉપયોગ દવાઓમાં બનાવવામાં થાય છે. આ ઉપરાંત તેના લાકડાનો ઉપયોગ મુખ્યત્વે સારી કેબિનેટ, ફર્નિચર, બાંધકામ, કૃષિ ઓજારો, ઘરગથ્થુ ઉત્પાદનો, થાંભલાઓ, ટ્રક અને બસ બોડી, જમીન સુધારક, ચાના બગીચાઓમાં નર્સ ટ્રી, કોફી અને કોકો વાવેતર માં થાય છે. ભારતમાં, આલ્બિઝિયા પ્રોસેરાના પાંદડાનો ઉપયોગ પ્રાણીઓ જેવા કે ઢોર, ઘેટાં-બકરા, હાથી અને હરણ ના ધાસ-ચારા તરીકે કરવામાં આવે છે. આ રીતે કિલાઈને ખુબજ મહત્વપૂર્ણ વૃક્ષ માની શકાય છે.

સૌજન્ય: 

લેખક: રાકેશકુમાર એમ. જાળિયા, ડૉ. સુમનકુમાર એસ. ઝા, ડૉ.ચૈતન્ય મોગલ

વન જીવવિજ્ઞાન અને વૃક્ષ સુધારણા વિભાગ, વન્ય-મહાવિધાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી, ગુજરાત – ૩૯૬૪૫૦

Share your comments

Subscribe Magazine

More on Other

More